:: આલેખન ::
દર્શન ત્રિવેદી
પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧
ચૂંટણી પ્રક્રિયા મુખ્યત્વે ચાર કાયદાઓથી કરવામાં આવે છે, બંધારણ અને સુપ્રિમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચને વિશાળ સત્તાઓ પ્રદાન કરી છે જ્યાં કાયદાકીય જોગવાઇ ન હોય અથવા કાયદો પ્રર્યાપ્ત ન હોય તેવા સંજોગોમાં ચૂંટણી પંચ આદેશ જારી કરી શકે છે, આચાર સંહિતા તેનું ઉદાહરણ છે..
આપણો દેશ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવે છે. લોકશાહી એ જ ભારતીય બંધારણનું હાર્દ છે. બંધારણે જ ભારતને સાર્વભૌમત્વ સમાજલક્ષી અને બિનસંપ્રદાયિક ગણતંત્ર બક્ષ્યું છે. લોકશાહી અંગે બંધારણમાં સુંદર પરિકલ્પના કરવામાં આવી છે. આ પરિકલ્પના એટલે ભારતના પ્રત્યેક નાગરિક મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી સંસદ, વિધાનસભા, પંચાયતોમાં પોતાનું પ્રતિનિધિત્વ મોકલે છે. આ ચૂંટણીઓ ભારતનું ચૂંટણી પંચ યોજે છે. આ પંચને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. તે કેટલાક કાયદો અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને અનુસરી ચૂંટણી પ્રક્રિયા કરે છે. બંધારણે ચૂંટણી પંચને કાયદાઓ વડે વિશાળ સત્તાઓ આપી છે. તેના વિશે જાણવું રસપ્રદ બની રહેશે. મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે કેટલીક પૂર્વ જરૂરિયાતો છે. જેમાં ચૂંટણી રાજકીય અને પ્રશાસનની દખલગીરીથી મુક્ત હોવી જોઇએ. ચૂંટણી પંચને કાયદાકીય પ્રાવધાનોથી સજ્જ કરવું પડે અને ચૂંટણી અંગે ઉભા થવા વિવાદોનું યોગ્ય નિરાકરણ. આ બાબતો જરૂરી છે. એટલે ભારતીય બંધારણમાં તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે
ડો. બાબા સાહેબ આંબેડકરના વડપણ હેઠળ રચાયેલું આપણું બંધારણ કેટલું વિદ્વાન છે તેનો ખ્યાલ સહજ આવી શકે છે. ઉક્ત જરૂરિયાતોને ધ્યાને રાખી બંધારણે મુક્ત અને સ્વતંત્ર ચૂંટણી પંચની રચના કરી છે. બંધારણે પંચને વિશાળ સત્તાઓ પ્રદાન કરી છે. તેના અનુચ્છેદ ૩૨૪માં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ તથા વિધાનસભાની ચૂંટણી કરવા અને તેની મતદાર યાદી તૈયાર કરવાની પંચને સત્તા આપવામાં આવી છે. જ્યારે, અનુચ્છેદ ૨૪૩-કે અને ઝેડએ મુજબના પ્રાવધાનથી નગરપાલિકાઓ, પંચાયતો અને અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી કરવા સ્વતંત્ર પંચની રચના કરવામાં આવી છે. જેને રાજ્ય ચૂંટણી પંચ તરીકે ઓળખવામાં આવે છે.
ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ઉભા થતાં વિવાદોને સુપ્રિમ કોર્ટમાં ન્યાય માટે લઇ જઇ શકાય છે. તેની જોગવાઇ બંધારણના અનુચ્છેદ ૭૧માં કરવામાં આવી છે. જ્યારે, સંસદ અને વિધાનસભા સહિતની અન્ય સંસ્થાઓની ચૂંટણીમાં ઉભા થતાં વિવાદોને હાઇકોર્ટમાં પડકારી શકાય છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ખાસ ખાસ કાયદો ઘડવામાં આવ્યો છે. જેને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ધારો-૧૯૭૪ તરીકે ઓળખવામાં આવે છે. ચૂંટણી પંચ મુખ્યત્વે લોક પ્રતિનિધિત્વ ધારો-૧૯૫૦ અને ૧૯૫૧ની વિવિધ કલમો હેઠળ ચૂંટણી યોજે છે. આ કાયદા અંગે ઉભી થતી તકરારોનું સુપ્રિમ કોર્ટે નિરાકરણ કરી કેટલાક ચિમાચિહ્નરૂપ ચુકાદા આપ્યા છે.
લોકપ્રતિનિધિત્વ ધારો-૧૯૫૦ પણ મુખ્યત્વે મતદાર યાદી બનાવવી, તેમાં સુધારણા કરવા અંગેની જોગવાઇઓ ધરાવે છે. તેવો જ બીજો કાયદો મતદાર નોંધણી અધિનિયમ-૧૯૬૦ પણ છે. તેની કલમ નંબર ૨૮ હેઠળ મતદાર યાદીને લગતી વિસ્તૃત જોગાવાઇઓ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ જ સરકારના ખર્ચથી નાગરિકને મતદાર ઓળખપત્ર આપવામાં આવે છે. જ્યારે, લોક પ્રતિનિધિત્વ ધારો-૧૯૫૧ અને ચૂંટણી પ્રક્રિયા અધિનિયમ-૧૯૬૧ મુજબ મતદાન કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કાયદાની કલમ નંબર ૧૬૯માં તેની જોગવાઇ કરવામાં આવી છે. આ બન્ને કાયદાઓમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ચૂંટણીના જાહેરનામાની પ્રસિદ્ધિ, નામાંકન, ઉમેદવારીપત્રોની ચકાસણી, ઉમેદવારી પરત લેવી, મતદાન યોજવું, મતગણતરી કરવાના પ્રાવધાન કરવામાં આવ્યા છે. એક વિશેષ વાત એ છે કે લોકપ્રતિનિધિત્વ ધારાની જોગાવાઇ પ્રમાણે વિજેતા ઉમેદવારોની જાહેરાત પ્રમાણે જ હાઉસ એટલે કે સંસદ કે વિધાનસભાની રચના થાય છે.
બંધારણે ચૂંટણી પંચને વિશાળ સત્તાઓ આપી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ કિસ્સામાં કાયદાની અપૂર્ણ જોગવાઇ હોય તો પંચ આદેશ પણ કરી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ ચૂંટણી પ્રતીક ફાળવણીનું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રતીક ફાળવવા માટે માત્ર આદેશો જ કરવામાં આવ્યા છે. જેને ઇલેક્શન સિમ્બોલ (રિઝર્વેશન એન્ડ એલોટમેન્ટ) ઓર્ડર-૧૯૬૮ તરીકે ઓળખવામાં આવે છે. ચૂંટણીમાં આચાર સંહિતનું પાલન પણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. બંધારણના અનુચ્છેદ ૩૨૪ હેઠળ મળેલી સત્તાની રૂએ ભારતીય ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અમલી બનાવી છે. આચાર સંહિતાનું ઘડતર ભારતીય ચૂંટણી પંચનું નમૂનારૂપ કાર્ય છે. જેના કારણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોને લોભલાલચ આપી શકાતી નથી. સરકારી તંત્ર, સાધનોનો રાજકીય ઉપયોગ કરી શકાતો નથી. હિંસા ઉભી કરે, નફરત ફેલાવે તેવા ભાષણો આપી શકાતા નથી.
બીજી એક મહત્વની વાત એ છે કે ચૂંટણીને લગતા વિવાદો હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ પડકારી શકાય છે. જો કે કોર્ટને ગંભીર લાગતી બાબતમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ ન્યાયોચિત્ત ચૂકાદા આપી શકે છે. લોકપ્રતિનિધિત્વ ધારો-૧૯૫૦ અને ૧૯૫૧, ચૂંટણી પ્રક્રિયા અધિનિયમ-૧૯૬૧, મતદાર નોંધણી અધિનિયમ-૧૯૬૦ મુજબ ચૂંટણીલક્ષી વિવાદોનું નિરાકરણ લાવવામાં આવે છે. મોડેલ કોડ ઓફ કન્ડક્ટ માટે ભારતીય દંડ સંહિતા જેવા કાયદાઓનો ઉપયોગ થાય છે. ચૂંટણી પંચ કોઇ પર સરકારી કર્મચારીની સેવા લઇ શકે છે. તેની બદલી-બઢતી રોકી શકે છે અને બદલી કરી શકે છે. ચૂંટણીની કામગીરી ન કરનાર, મનાઇ કરનાર કર્મચારી સામે પગલાં પણ લઇ શકે છે. આપત્તિના સંજોગોને બાદ કરતા સરકારને કોઇ પણ નીતિ વિષયક નિર્ણયો લેવાની મનાઇ ફરમાવી શકે છે.
ઉક્ત કાયદામાં ધરમૂળથી ફેરફાર કરતા કેટલાક ચૂકાદાઓ પણ સુપ્રિમ કોર્ટે આપ્યા છે. તે જાણવા રસપ્રદ બની રહેશે. એન. પી. પુન્નુસ્વામી વિરુદ્ધ પ્રતિપ્રેષક અધિકારી-નમક્કલના કેસમાં સુપ્રિમ કોર્ટે એવું પ્રસ્થાપિત કર્યું કે બંધારણના લોકશાહી અંગે બંધારણનું પરિકલ્પન ચૂંટણી પદ્ધતિની પ્રતિનિધિત્વથી શક્ય બને છે. ગદાખ યશવંતરાવ કંકારારાવ વિરુદ્ધ બાલાસાહેબ વિખેપાટીલના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે એવો ચુકાદો આપ્યો હતો કે ઉમેદવારી કરનારા, બીજા શબ્દોમાં કહી તો ઉપલબ્ધ શ્રેષ્ઠ વ્યક્તિને મતદારોએ ચૂંટી કાઢવા જોઇએ. મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી પ્રક્રિયા થવી જોઇએ. જ્યાં મતદાર પોતાની ઇચ્છા મુજબ મતદાન કરી શકે. મુક્ત અને ન્યાયી ચૂંટણી જ લોકશાહીનો પાયો છે.
મોહિન્દરસિંઘ વિરુદ્ધ ચિફ ઇલેક્શન કમિશનના ૧૯૭૮ના એક કેસમાં સુપ્રિમ કોર્ટે એવું પ્રતિપાદિત કર્યું હતું કે જ્યાં કાયદાઓની પૂરતી જોગવાઇ નથી, એવા સમયે ઇલેક્શન કમિશનર આદેશ આપી શકે છે. મોડેલ કોડ ઓફ કન્ડક્ટ આ કેસની જ દેન છે. ૨૦૦૩ના એક કેસમાં સુપ્રિમ કોર્ટે ઉમેદાવારોને પોતાની, તમામ પારિવારિક સંપતિ અને ગુના સંબંધી વિગતો જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આજ સંબંધે અન્ય એક ચુકાદામાં એવું પણ ઠરાવ્યું છે કે ઉમેદવાર ઉક્ત વિગતો આપી શકે તો તેનું નોમિનેશન પેપર રદ્દ કરવાને પાત્ર બને છે. તાજેતરના એક ચુકાદામાં સુપ્રિમ કોર્ટે કોઇ પણ ઉમેદવારને મત ન આપવા માટેના નોટાને પણ અમલી બનાવ્યું છે. જ્યારે, ઓડિટ ટ્રાયલ પેપર આપવાનો પણ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે. આમ, ભારતનું ચૂંટણી પંચ ઉક્ત કાયદાઓને આધારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરે છે. election rules and regulation in india gujarat legal guidance supreme court of india election commission of india voting voter