નવી દિલ્હી ખાતેનું રાષ્ટ્રપતિ ભવન હવેથી જાહેર જનતા માટે અઠવાડિયામાં ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે ખુલ્લુ રહેશે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો ભારત સરકાર – અમદાવાદની યાદી મુજબ હવેથી જાહેર રજા સિવાય સવારે ૯ કલાક થી સાંજે ૪ કલાક સુધી જાહેર જનતા માટે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ ચાલુ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન જોવા માટે આવનારા વ્યક્તિ ભવનના ગેઈટ નંબર ૨ (રાજપથ) તથા ગેઈટ નંબર ૩૭ (હુક્મીભાઈ માર્ગ) અને ગેઈટ નંબર ૩૮ (ચર્ચ રોડ) થી પ્રવેશ અને નિકાસ કરી શકશે.
રાષ્ટ્રપતિ ભવન જોવા માટે ૫૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ લઘુત્તમ નોંધણી ફી રખાઈ છે. (૮ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક છે) ભારતીય નાગરિકો માટે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ માટે પોતાનું ફોટો ઓળખપત્ર આવશ્યક છે. વિદેશી નાગરિકોને પ્રવેશ સમયે પોતાનો મૂળ પાસપોર્ટ બતાવવો પડશે. રાષ્ટ્રપતિ ભવન જોવા ઈચ્છતા લોકો વહીવટી એકમના ફોન નંબર ૦૧૧-૨૩૦૧૩૨૮૭ – ૨૩૦૧૫૩૨૧ – એક્ષટેન્શન ૪૬૬૨ તથા ફેક્સ નંબર ૦૧૧-૨૩૦૧૫૨૪૬ તેમજ ઈ-મેઈલ : reception-officer@rb.nic.in પર કોઈપણ રીતે જાણકારી અને સહાયતા માટે સંપર્ક કરી શકે છે. રાષ્ટ્રપતિ ભવન જોવા માટે વેબસાઈટ http://rashtrapatisachivalaya.gov.in/rbtour પર ઓનલાઈન બુકિંગ પણ કરી શકાય છે.