આલેખન : અશ્વિન પટેલ
(માહિતી બ્યુરો – જૂનાગઢ)
ગ્રીક માઇથોલોજીમાં જે સ્થાન સૈાદર્ય અને સંપતિની દેવી એફ્રોડાઇડનું છે એ ભારતીય પુરાણકથામાં ઐશ્વર્યની અધિષ્ઠત્રી દેવી પ્રકૃતિનું છે. આજનાં શિક્ષીત બુધ્ધીવાદી એરકન્ડીનમાં બેસીને સૈાદર્યસભર સારી સારી વાતો ભલે કરે,પણ ભારતીય ભાતિગળ ગ્રામીણ અને અર્ધ કે અશિક્ષીત કોઠાસુઝ વાળી(ગામઠી) જનતા પ્રકૃતિનાં ખોળે ઉછરે છે અને પ્રકૃતિ સાથે જીવે છે અને કુદરતનાં ડગલે અને પગલે નિર્મિત પર્વો, ઉત્સવોમાંપ્રકૃતિને સંસ્કૃતિ સાથે જોડીને ઈશ્વર સાથે એકાકાર થયાની અનુભુતિ પણ કરે છે.
ભારતવર્ષમાં નગાધિરાજ હિમાલય પર્વત આમ જોઇએ તો સૈાથી ઉંચો પર્વત છે. જ્યાં કૈલાસ, શિખર, સમેત અનેક દેવ-દેવીનાં ઉલ્લેખ સાથે સાંસ્કૃતીક અને ધાર્મિક અસ્મિતાનાં બીજ જોડાયેલા છે પણ કહે છે હિમાલય જેનો આદર કરે તેવા પર્વત ગિરનાર આપણાં ગરવા ગુજરાતને પોતાનાં ખોળે રમાડી રહ્યા છે. આમ પણ હમેંશા સાંભળતા આવ્યા છીએ કે ગિરનાર એ જોગી, રોગી, ભોગી, ત્યાગી, અને રાગીથી વૈરાગી, અનુરાગી સહું કોઇને પોતાની તળેટીમાં આશિષ આપે છે. ઈચ્છે છે તેવુ પામે અને પામે તેવુ ભોગવે તેવી વાત ભવનાથ તિર્થ ક્ષેત્રે અનુભવાતી રહે છે. અનેક ઋષિ કુળનાં મહાત્માઓ પોત-પોતાનાં સિધ્ધ આશ્રમ સાથે સંસ્કૃતિનાં રખોપા કરતા પ્રકૃતિની ગોદમાં લોકોને સદાય આવકારે છે. પુજ્યપાદ સંતો અને મહંતોની પાવન ભુમિ એટલે ગિરીવર ગિરનારજીની ભુમિ, ગિરનાર પર્વત એટલે નવનાથ અને ચોસઠ જોગણીનાં બેસણાનો પર્વત, પરબ વાવડી, સતાધાર, વિરપુર અને કનકાઇ, બાણેજ જેવા યાત્રાધામો અને અરબ સાગરનાં તટે ભોળા સોમનાથ અને ભગવાન દ્વારિકાનાં નાથ શ્રીકૃષ્ણનાં મંદિરોની ધ્વજા પરથી પરસાર થતી હવાની લહેરખી ગિરનારનાં ગુરૂ દતાત્રેયથી ભવનાથ સુધી અમી આશિષ આપતિ અનુભવાય એવી આ દેવલોક ભુમિમાં પ્રતીવર્ષ કાર્તીકી અગિયારસથી ત્રિ-દિવસયીય જટાળા જોગીની પ્રદિક્ષણા(પરિક્રમા) પ્રવાહીત મેળાનાં રૂપે યોજાય છે. જેને સોરઠવાસીઓ લીલી પરકમા તરીકે ઓળખે છે. ભક્તિનાં સંગે અને પ્રકૃતિનાં ખોળે મહાલવાનો મહામુલો અવસર એટલે જ પરિક્રમાંનો પથપ્રવાસ.
જૂનાગઢ જિલ્લાને ગુજરાતનાં બીજા જિલ્લાઓની તુલનાએ કુદરતે લાડકવાયો ગણ્યો હશે. અહીં વિશાળ દરિયાકાંઠો, ગીર અને ગીરનારની વન્ય સૃષ્ટી અને વિશ્વને ધ્યાન ખેંચે તેવા એશિયેટીક લાયન (સીંહ) અને તાલાળાની જગમશહુર કેસર કેરી, આ ઉપરાંત દ્વાદશ જ્યોતિલીંગ પૈકી પ્રથમ એવા સોમનાથ મહાદેવ, શ્રીકૃષ્ણનું દેહોત્સર્ગ, ભાલકાતિર્થ, તુલશીશ્યામ યાત્રીકોને યાત્રા પ્રવાસ માટે કાયમ આવકારે છે. જિલ્લાઓમાં અનેક નાના-મોટા મેળાઓ યોજાય છે. જેમાં જગ મશહુર શિવરાત્રીનો મેળો પણ ગિરનારની ગોદમાં જ ઉજવાય છે. તે જ ગિરનારજીને નવલા વર્ષની અગીયારસે પ્રદિક્ષણા રૂપે પ્રતી વર્ષ લીલી પરિક્રમા યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવીક ભક્તો લીલી વનરાજી વચ્ચેથી પર્વત અને ખીણની વચ્ચેથી ભક્તિભાવથી મહાલતા ત્રિદીવસીય મેળા રૂપે આ પરિક્રમા કરી પુણ્યનું ભાથુ બાંધ્યાનો અહેસાસ કરે છે. અગાઉનાં સમયમાં દિવસભર પરિક્રમા પથ પર પદ યાત્રા થતી, સાંજ ઢળ્યે પડાવ નંખાતા, બહેનો ભાવતા ભોજનીયા બનાવતી, પુરૂષો ભજનની સરવાણી વહેવડાવે અને વૃધ્ધો અને માતાઓ લોક સંગીતનાં ઢાળે ધોળ કે લોકગીતોનાં સુરોથી વનને વૃંદાવનમાં તબદીલ થયાની અનુભતી કરતા જંગલ મધ્યે ત્રણ દિવસ રહે પણ કોઇ જ ભય નહીં, કોઇ જ ચિંતા નહીં મારા તમારાનાં કોઇ જ ભાવ નહીં, કોઇ નાનો નહી કે કોઇ મોટો નહીં સહુના સથવારે સહુના સહકારથી એકબીજાનાં પુરક બનીને પ્રકૃતિ દેવીનાં ખોળે રૂડા અવસરે મહાલતા હોય છે.
આ મેળામાં જૂનાગઢનાં ગામે ગામથી જેમ કે પોરબંદરથી મેર સમાજનાં ભાઇ બહેનો, ઘેડમાંથી આહીર અને કોળી સમાજ, નાઘેરમાંથી કારડીયા રાજપુત સમાજ, હાલારેથી કણબી-વાણીયા, વેપારી સમાજ, બાબરીયાવાડ, ભાલ, ઝાલાવાડ, ગોહીલવાડ, કચ્છ, વાગડ, બરડો, કાઠીયાવાડ વગેરે પ્રાંતોમાંથી અઢારેય વરણનાં ભાઇ-બહેનો કોઇ જ નાત જાતનાં ભેદભાવ વિના કે કોઇ ધનવાન કે ગરીબનાં વાદ વગર સૈા કોઇ આવે છે. અને આવનારને કોઇ જ સુવિધાની જરૂરત નહીં. આજે વખત વિતતો ચાલ્યો, જમાનાની અસર અને વાહન વ્યવહારોની સગવડ વધતા આ પરિક્રમામાં રાજ્યભરમાંથી તો ઠીક પણ દેશ-વિદેશમાંથી યાત્રીકો ભાવિકો આવવા લાગ્યા છે. દરેક વર્ષે યાત્રીકો વધતા જ જાય છે. હજારોની સંખ્યામાં અને લાખોમાં આંકડો તબદીલ થયો હોવા છતા ઈશ્વરનાં આશિર્વાદ અને રાજ્ય સરકારનાં વહીવટી તંત્ર તેમજ સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ એસ.ટી નિગમ, પોલીસતંત્ર, મહાનગરપાલીકા, જિલ્લાપંચાયત, આરોગ્ય અને આયુર્વેદ શાખા, માહિતી વિભાગ સહિત જૂદા-જૂદા જિલ્લાઓમાંથી આવી સેવા કરતા સેવાભાવી મંડળો, યાત્રીકોને કોઇજ અગવડતા ના પડે તેની તકેદારી રાખે છે. સહુને આત્મિયતાનાં ઓજસે પ્રકાશનાં પુંજથી રોશન કરતો આ રૂડો અવસર સારા વરસાદથી વધુ નિખરશે. સંસ્કૃતિ અને પ્રકૃતિનાં મિલાપ સમા આ લીલી પરિક્રમાંનાં પ્રત્યેક યાત્રીકને યાત્રા શુભ બની રહે તેવી શુભકામનાં. . . girnar lili parikama parikma in junagadh in gujarat india